હરિયાણા: ₹504 કરોડના કથિત ગોટાળામાં 6 IAS સહિત 19 આરોપીઓ સામે CBIએ ત્રીજી ચાર્જશીટ દાખલ

હરિયાણા: ₹504 કરોડના કથિત ગોટાળામાં CBIની ત્રીજી ચાર્જશીટ

હરિયાણામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને સંસ્થાઓ સાથે જોડાયેલા આશરે ₹504 કરોડના કથિત ગોટાળાના કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ પંચકુલાની વિશેષ કોર્ટમાં વધુ 19 આરોપીઓ સામે ત્રીજી ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં 6 IAS અધિકારીઓ ઉપરાંત બે ખાનગી બેંકના અધિકારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓના નામ સામેલ છે.

CBIનો દાવો છે કે સરકારી નાણાંના ગેરઉપયોગ અને સુનિયોજિત ષડયંત્રથી નાણાં હેરફેર કરવામાં આવ્યા હતા. ચાર્જશીટ અને મુખ્ય દાવો પંચકુલાની વિશેષ કોર્ટમાં દાખલ કરાયેલી આ ત્રીજી ચાર્જશીટમાં CBIનું કહેવું છે કે સરકારી કર્મચારીઓ અને બેન્ક અધિકારીઓએ એક સાથે કથિત રીતે ષડયંત્ર રચ્યું હતું.

એજન્સીની દલીલ મુજબ, હરિયાણા સરકારના વિવિધ વિભાગોના નાણાંને અન્ય અધિકૃત બેંક ખાતાઓમાંથી IDFC ફર્સ્ટ બેન્ક અને AU સ્મોલ ફાઇનાન્સ બેન્કની ચોક્કસ શાખાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. ત્યારબાદ તે રકમ વિવિધ બેંક ખાતાઓ મારફતે તૃતીય પક્ષના ખાતામાં મોકલવામાં આવી અને ત્યારબાદ રોકડમાં ફેરવી દેવામાં આવી હોવાનું CBIનો દાવો છે.

આરોપીઓના નામ CBIના જણાવ્યા મુજબ ચાર્જશીટમાં હરિયાણા કેડરના 6 IAS અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમના નામ આ પ્રમાણે છે: રામ કુમાર સિંહ, મોહમ્મદ શાહીન, પ્રદીપ કુમાર, સાકેત કુમાર, વિનિત ગર્ગ, પંકજ અગ્રવાલ. બેન્ક અધિકારીઓમાં IDFC ફર્સ્ટ બેન્કના શમીમ અહમદ ડાર, સુધા ગોયલ અને કુલદીપ સિંહ અને AU સ્મોલ ફાઇનાન્સ બેન્કના ચરણજીત સિંહ રંધાવાનું નામ ચાર્જશીટમાં છે. સાથે જ રાજ્ય સરકારના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ આરોપો દાખલ કરવામાં આવ્યા છે.

CBIએ જણાવ્યું છે કે આ કેસમાં ક્રિમિનલ કન્સ્પિરસી, છેતરપિંડી, ષડયંત્ર, પુરાવાનો નાશ, ખોટા દસ્તાવેજોનો ઉપયોગ, ખાતામાં હેરફેર, વિશ્વાસઘાત અને ઉશ્કેરણી સહિતના આરોપો મૂકાયા છે. ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ લાંચ અને ગુનાહિત ગેરવર્તનના આરોપો પણ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે.

એજન્સીનું કહેવું છે કે કથિત ગોટાળાની અસર હરિયાણા સરકારની 8 વિભાગો અને સંસ્થાઓ પર પડી છે. તેમાં સામેલ સંસ્થાઓમાં પંચાયત વિભાગ, પંચકુલા અને કાલકા નગર નિગમ, હરિયાણા સ્કૂલ એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ, હરિયાણા લેબર વેલફેર બોર્ડ, હરિયાણા સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, હરિયાણા સ્ટેટ એગ્રિકલ્ચર માર્કેટિંગ બોર્ડ અને હરિયાણા પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડનો સમાવેશ થાય છે.

તપાસ અને જપ્ત પુરાવા હાલ સુધી કુલ 54 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન આશરે ₹20 કરોડ કિંમતનું સોનું સહિત મહત્વપૂર્ણ પુરાવા જપ્ત થયા છે. અત્યાર સુધીમાં 26 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રીજી ચાર્જશીટ દાખલ થયા બાદ આ કેસમાં કુલ 37 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઇ ચૂકી છે.

CBIએ ચંડીગઢ સ્માર્ટ સિટી લિમિટેડ, ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને CREST સાથે જોડાયેલા કેટલાક અન્ય કેસોની પણ તપાસ હાથ ધર્ય છે.