ગાંધીનગરના જમિયતપુરા ખાતે રૂ.300 કરોડથી વધુના ખર્ચે વિશ્વ આંજણાધામ નિર્માણનો ભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો

ગાંધીનગરના જમિયતપુરા ખાતે રૂ.300 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનારા વિશ્વ આંજણાધામના ભૂમિપૂજન સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જ્ઞાનવત્સલ સ્વામી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

🔸 વિશ્વ આંજણાધામ નિર્માણનો ઐતિહાસિક આરંભ

ગાંધીનગરના જમિયતપુરા ખાતે વિશ્વ આંજણાધામના નિર્માણનો ભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાયો. અંદાજે રૂ.300 કરોડથી વધુના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંસ્થા આંજણા ચૌધરી સમાજ માટે શિક્ષણ, સંસ્કાર અને સંગઠનનું કેન્દ્ર બનશે.


વિશ્વ આંજણાધામ

🔸 વિશ્વ આંજણાધામ માટે શિક્ષણ મુખ્ય આધારસ્તંભ

ભવિષ્યની પેઢીને શિક્ષણ, સંસ્કાર અને સંગઠનની ભેટ આપવા આ સંસ્થાનો વિચાર છેલ્લા 20 વર્ષથી ચાલી રહ્યો હતો, જેને આજે સાકાર સ્વરૂપ મળ્યું છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, સમાજના સંપૂર્ણ સક્ષમ વર્ગે આગળ આવી 90 ટકા મહેનતુ વર્ગના ઉત્કર્ષ માટે વિચારવું અને પહેલ કરવી જરૂરી છે.

આ પણ વાંચો સાબરકાંઠા સમાચાર


🔸 માત્ર પૈસાનું નહીં પરંતુ સમયનું દાન પણ મહત્વપૂર્ણ

વિશ્વ આંજણાધામના ભૂમિપૂજન પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, સંસ્થાના નિર્માણમાં માત્ર આર્થિક દાન નહીં પરંતુ સમયનું દાન પણ એટલું જ મહત્વપૂર્ણ છે. દાન ભેગું કરવાથી મોટો પડકાર તેનો યોગ્ય ઉપયોગ કરવાનો છે અને રોકાણ યુવા શક્તિની સ્કીલ અને ટેલેન્ટમાં થવું જોઈએ.


🔸  સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિ પર ભાર

તેમણે ઉમેર્યું કે, માત્ર ભૌતિક વિકાસ પૂરતો નથી, પરંતુ આધ્યાત્મિક શક્તિ પણ વિકસાવવી પડશે. ગર્ભ સંસ્કારથી શરૂ થતા સારા સંસ્કારોથી રાષ્ટ્ર માટે સમર્પિત અને સક્ષમ નાગરિકો તૈયાર થશે.


🔸 સ્વામી જ્ઞાનવત્સલજીનું માર્ગદર્શન અને આશીર્વચન

પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીએ આશીર્વચન આપતાં જણાવ્યું કે, વિશ્વ આંજણાધામ માત્ર એક ઇમારત નહીં પરંતુ સેવા, સંસ્કાર અને શિક્ષણનો સમન્વય છે. તેમણે સંગઠન અને સમર્પણની ભાવનાથી આ કાર્ય સમય પહેલાં પૂર્ણ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો.


🔸 ‘સંપ રાખવો એ સંસ્થાનો આધાર’ – સ્વામીજીએ આપ્યો સંદેશ

સ્વામીજીએ પ્રમુખસ્વામી મહારાજના ઉદાહરણ સાથે જણાવ્યું કે, “સંસ્થાના નિર્માણ માટે ઝેર ખાઈને પણ સંપ રાખવો.” માન-સન્માનની લાલસા છોડીને નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું એ સમાજ ઉત્કર્ષનું મુખ્ય સૂત્ર છે.


🔸 યુવા શક્તિ અને શિક્ષકો માટે મહત્વપૂર્ણ સંદેશ

વિદ્યાર્થીઓને સંબોધતા સ્વામીજીએ જણાવ્યું કે, સમાજે વ્યવસ્થા ઉભી કરી છે, હવે નિર્ણય વિદ્યાર્થીઓએ કરવો છે. શિક્ષકો માટે ‘40+5’ ફોર્મ્યુલા દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો સંદેશ આપ્યો.


🔸 વિશ્વ આંજણાધામ – સેવા, સંસ્કાર અને શિક્ષણનું કેન્દ્ર

વિશ્વ આંજણાધામના પ્રમુખ મણીભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વિશ્વ આંજણાધામ કોઈ એક બિલ્ડીંગ નહીં પરંતુ સેવા, સંસ્કાર અને શિક્ષણનું કેન્દ્ર બનશે. સમાજના ઉત્કર્ષ માટે આ સંસ્થા માઇલસ્ટોન સાબિત થશે.


🔸 સમાજના અગ્રણીઓ અને દાતાશ્રીઓની વિશાળ ઉપસ્થિતિ

આ પ્રસંગે સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરીયા, વિશ્વ આંજણાધામના મહામંત્રી અમિતભાઈ ચૌધરી, મંત્રી નાનજીભાઈ ચૌધરી સહિત આંજણા ચૌધરી સમાજના દાતાશ્રીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment