વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વાવ- થરાદ જિલ્લામાં રૂ. ૫૪.૧૨ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ વાવ-થરાદ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરાયું હતું. અધ્યક્ષશ્રીના હસ્તે શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગ- રસ્તા સહિતના કુલ રૂ. ૫૪.૧૨ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું,

જેના કારણે જિલ્લાના ગ્રામ્ય તથા સરહદી વિસ્તારમાં સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે મોરીલા ગામે ગોગા મહારાજના મંદિર પાસે મજૂર કલ્યાણ કેન્દ્ર, ગોળીયા પ્રાથમિક શાળામાં પ્રાર્થના શેડ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના મોરીલા- ખોરડા રોડ, આરોગ્ય વિભાગ હેઠળના જાણદી તથા ડોડગામ ગામે પેટા આરોગ્ય કેન્દ્રોના ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ અને અસરકારક બનશે. અધ્યક્ષશ્રીના હસ્તે માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા મીઠા-થરાદ-ડીસા રોડના વાઇડનીંગ તથા સ્ટ્રેન્ધનીંગ કાર્યનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું, જે જિલ્લાની માર્ગ સુવિધાઓને વધુ સુરક્ષિત, મજબૂત અને ઝડપી બનાવશે.

આ ઉપરાંત અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તકના પીલુડા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું તેમજ પીલુડા ગામે શિવ મંદિર સ્થિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળશે. આ પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વાવ- થરાદ જિલ્લો આવનાર સમયમાં રાજ્યના અગ્રીમ જિલ્લાઓમાં સ્થાન પામે તે દિશામાં સરકારશ્રી દ્વારા દ્રઢ સંકલ્પ સાથે વિકાસના કાર્ય કરવામાં આવી રહ્યા છે. સરહદી વિસ્તારમાં વસતા લોકો સુધી વિકાસના લાભો પહોંચે તે માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, સારા રસ્તાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુલભ આરોગ્ય સેવાઓથી ગ્રામ્ય જીવનધોરણમાં સુધારો આવશે અને યુવાનોને રોજગારીના નવા અવસર પ્રાપ્ત થશે. સરકારશ્રીના માર્ગદર્શન અને લોક સહયોગથી વાવ- થરાદ જિલ્લાને વિકાસનું મોડેલ જિલ્લા તરીકે વિકસાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Leave a Comment